

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમલીકૃત ” ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના” ના ભાગ રૂપે આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા યોજનાનું અમલીકરણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. જિલ્લાના તમામ ૯ તાલુકાના જુદા – જુદા ગામમાં પ્રાકૃતિક કૃષિનો વધુમાં વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેક્ટ, ભરૂચ સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય આધારિત તૈયાર થતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વગેરે બાયો ઇનપુટ્સ પાયાની જરૂરિયાત હોય છે. પરંતુ ઘણા ખેડૂતો પાસે પોતાની દેશી ગાય ન હોય તો તેમણે પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે બીજામૃત, જીવામૃત ઘનજીવામૃત જેવા બાયો ઇનપુટ્સ તથા પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેની જરૂરીયાત રહે છે. આવા ખેડૂતોની જરૂરીયાત સરળતાથી પૂરી થાય તે હેતુથી “ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય” યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાથી પ્રાકૃતિક કૃષિ કરતા અને અપનાવવા ઈચ્છતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેના જરૂરી એવા ઉપર મુજબના ગૌ – આધારિત બાયો ઇનપુટ્સ, BRC (બાયો ઇનપુટ્સ રીસોર્સ સેન્ટર) પર થી ખુબજ સરળતાથી મળી રહેશે. આ યોજનાનો લાભ સામાન્ય તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી હોય અને તે અરજી મંજૂર થતા સામાન્ય કેટેગરીમાં આવેલા ખેડૂતોને ૫૦ ટકા મહત્તમ રૂા. ૪૦૦૦/- ની મર્યાદા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ૭૫ ટકા મહત્તમ રૂા. ૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. ભરૂચ જીલ્લામાં આ યોજના હેઠળ ૪૦૦ અરજીઓ પ્રાપ્ત થઇ છે. તે પૈકી ૩૮૮ જેટલા પાત્રતા ધરાવતા ખેડૂતોને સહાયનો લાભ પ્રાપ્ત થયો છે. ૩૮૮ લાભાર્થીઓને ૧૫૫૬૯૩૦ રૂ. ની સહાય આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ હાલમાં જિલ્લામાં હાલમાં ૫ બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર યુનિટ કાર્યરત છે. આમોદ તાલુકામાં ૨, વાગરા તાલુકામાં ૧ અને અંકલેશ્વર તાલુકામાં ૨ બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે જેનો લાભ આજુબાજુ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લઇ રહ્યા છે. “ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના”નું આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો તેમજ તેના માટે આવશ્યક એવા બાયો ઇનપુટ્સના વપરાશ પણ વ્યાપક રીતે વધી રહ્યો છે.

